સાલ્મોનેલા ફેક્ટશીટ

સાલ્મોનેલોસિસ એ સાલ્મોનેલા નામના બેક્ટેરિયાથી થતો રોગ છે. ઓસ્ટ્રેલિયામાં મોટાભાગના સાલ્મોનેલા ચેપ દૂષિત ખોરાક ખાધા પછી કે ક્યારેક ચેપગ્રસ્ત વ્યક્તિના સંપર્ક પછી થાય છે. માંસ, મરઘાં અને ઇંડાને સારી રીતે રાંધવા અને હાથની સ્વચ્છતા સહિત ખોરાકને સારી રીતે રાખવાથી ચેપ અટકાવી શકાય છે.


Last updated: 02 December 2025

સાલ્મોનેલોસિસ શું છે?

Salmonellosis (કે સાલ્મોનેલા) એ સાલ્મોનેલા નામના બેક્ટેરિયાના ચેપને કારણે થતો રોગ છે. ઓસ્ટ્રેલિયામાં, મોટાભાગના સાલ્મોનેલા ચેપ દૂષિત ખોરાક ખાધા પછી કે ક્યારેક ચેપગ્રસ્ત વ્યક્તિના સંપર્ક પછી થાય છે.

સાલ્મોનેલાના લક્ષણો શું છે?

લક્ષણોમાં સામેલ છે:

  • માથાનો દુખાવો
  • તાવ
  • પેટમાં દુખાવો
  • ઝાડા
  • ઉબકા
  • ઉલટી

લક્ષણો સામાન્ય રીતે બેક્ટેરિયાના સંપર્કમાં આવ્યાના 6-72 કલાક પછી શરૂ થાય છે અને સામાન્ય રીતે 4-7 દિવસ સુધી રહે છે. લક્ષણો ક્યારેક ઘણા લાંબા સમય સુધી પણ રહી શકે છે.

સાલ્મોનેલા કેવી રીતે ફેલાય છે?

ચેપગ્રસ્ત પ્રાણીઓમાંથી બનાવેલો ઓછો રાંધેલો ખોરાક (ઉદાહરણ તરીકે, ઓછું રાંધેલું માંસ, મરઘાં અને ઈંડા જેવા પ્રાણીજન્ય ખોરાક) ખાવાથી સામાન્ય રીતે સાલ્મોનેલા મનુષ્યોમાં ફેલાય છે.

સાલ્મોનેલા આ રીતે પણ ફેલાઈ શકે છે:

  1. ક્રોસ કન્ટેમિનેશન - દૂષિત ખોરાકમાંથી સાલ્મોનેલા અન્ય ખોરાકમાં ફેલાય તેને ક્રોસ કન્ટેમિનેશન કહે છે. ઉદાહરણ તરીકે, એક છરીનો ઉપયોગ સાલ્મોનેલાના ચેપવાળી વસ્તુ કાપવા માટે કરવામાં આવે છે, પછી તેનાથી એવી બીજી વસ્તુ કાપવામાં આવે છે જેને વધુ રાંધવામાં આવતી નથી, તો સાલ્મોનેલા બીજી વસ્તુમાં પણ ફેલાશે.
  2. એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં - જો હાથ યોગ્ય રીતે ધોવામાં ન આવે, ખાસ કરીને ભોજન બનાવતી વખતે. તે પ્રાણીઓથી મનુષ્યોમાં પણ ફેલાઈ શકે છે.

સાલ્મોનેલાનું જોખમ કોને છે?

કોઇને પણ સાલ્મોનેલાનો ચેપ લાગી શકે છે. શિશુઓ, વૃદ્ધો અને નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોને ગંભીર બીમારી થવાની શક્યતા વધુ હોય છે.

સાલ્મોનેલા કેવી રીતે અટકાવી શકાય?

રાંધીને

ખોરાક સારી રીતે રાંધવાથી સાલ્મોનેલા મરી જાય છે. કાચા કે ઓછા રાંધેલા માંસ, મરઘાં અને ઈંડા ટાળો. હેમબર્ગર, સોસેજ અને રોલ્ડ રોસ્ટ જેવા મરઘાં અને માંસ જ્યાં સુધી તમને વચ્ચે ગુલાબી રંગ ન દેખાય ત્યાં સુધી રાંધવા જોઈએ.

હાથ ધોઈને

શૌચાલય ગયા પછી, ડાઇપર બદલ્યા પછી, પ્રાણીઓને સ્પર્શ કર્યા પછી, ખોરાકને હાથ લગાવતા પહેલા અને ખાધા પછી ઓછામાં ઓછી 20 સેકન્ડ સુધી હંમેશા તમારા હાથ સાબુ અને પાણીથી સારી રીતે ધુવો. ખાસ કરીને નખ નીચે અને આંગળીઓ વચ્ચે સાફ કરવું મહત્ત્વપૂર્ણ છે.

ચેપગ્રસ્ત ખોરાક બનાવનાર કે પીરસનારા બેક્ટેરિયા સરળતાથી ફેલાવી શકે છે. ઝાડા બંધ થયાના 48 કલાક સુધી તેઓએ ખોરાકને હાથ લગાવવો જોઈએ નહીં કે પીરસવો જોઈએ નહીં.

તાપમાન નિયંત્રણમાં રાખીને

ખોરાકને યોગ્ય રીતે ન સાચવવાથી બેક્ટેરિયા વધે છે.

ચેપ લાગતો અટકાવવા માટે:

  • ખોરાકને પાંચ ડિગ્રી સેલ્સિયસથી ઓછા તાપમાને ફ્રીજમાં રાખો
  • ગરમ ખોરાકને 60 ડિગ્રી સેલ્સિયસથી વધુ ઉપર રાખો
  • ખોરાકના બધા ભાગો ગરમ થાય ત્યાં સુધી ખોરાકને ઝડપથી ગરમ કરવો જોઈએ
  • રેફ્રિજરેટરમાં ફ્રોઝન ખોરાકને માઇક્રોવેવમાં પીગાળવો કે ગરમ કરવો

તમે ઓરડાના તાપમાને ખોરાકને જેટલો લાંબો સમય રાખો છો, તેટલા વધુ સાલ્મોનેલા બેવડાઈ શકે છે.

ખોરાકની સંભાળ અને ચેપ

ખોરાકને લાગતો ચેપ રોકવા માટે:

  • કાચા ખોરાક (જેમ કે માંસ)ને ફ્રિજ કે ફ્રીઝરના તળિયે સીલબંધ કન્ટેનરમાં રાખો કે જેથી કોઈપણ પ્રવાહી ટપકીને અન્ય તૈયાર ખોરાક પર ઢોળાય નહીં. રેફ્રિજરેટર અને ફ્રીઝરમાં રહેલા બધા ખોરાકને ચેપથી બચાવવા માટે ઢાંકેલો રાખો
  • કાચા ખોરાક અને ખાવા માટે તૈયાર ખોરાક બનાવતી વખતે અલગ અલગ ચોપિંગ બોર્ડ, ટ્રે, વાસણો અને પ્લેટોનો ઉપયોગ કરો. જો તમારી પાસે ફક્ત એક જ ચોપિંગ બોર્ડ હોય તો ફરીથી ઉપયોગ કરતા પહેલા તેને ગરમ સાબુવાળા પાણીમાં સારી રીતે ધોઈ લો
  • કોઈપણ કાચા શાકભાજી અને ફળો તૈયાર કરતા અને ખાતા પહેલા તેની બધી ગંદકી સારી રીતે ધોઈ લો
  • હાથ કે ટેબલ સાફ કરવા માટે ઉપયોગમાં લેવાતા કપડાંથી અલગ કપડાં વડે ડિશો કોરી કરો અને એ કપડું નિયમિતપણે ધુવો.

સાલ્મોનેલાનું નિદાન કેવી રીતે થાય છે?

મળના નમૂનાનું પરીક્ષણ કરીને ડોક્ટર તમને કહી શકશે કે તમને સાલ્મોનેલા છે કે નહીં.

સાલ્મોનેલાની સારવાર કેવી રીતે કરવામાં આવે છે?

મોટાભાગના લોકો બરોબર આરામ કરીને અને પાણી કે (દવાની દુકાને મળતાં) હાઇડ્રેશનના પીણાં જેવું પ્રવાહી ખૂબ પીને સ્વસ્થ થાય છે. મોટાભાગના લોકો એક અઠવાડિયામાં સ્વસ્થ થાય છે.

તમારે તમારા ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ જો:

  • લક્ષણો થોડા દિવસો કરતાં વધુ સમય સુધી રહે
  • ઝાડા વધુ પડતા કે લોહીવાળા હોય
  • (નાના બાળકો, વૃદ્ધ લોકો અને નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોને) ગંભીર સાલ્મોનેલા થવાનું જોખમ હોય
  • તમે ચિંતામાં રહેતા હોવ.

મોટાભાગના લોકોને એન્ટિબાયોટિક્સની જરૂર નથી. નાના બાળકો કે મોટી ઉંમરના લોકો માટે એન્ટિબાયોટિક્સ લખવામાં આવી શકે છે. અમુક લોકોને હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર પણ પડી શકે છે.

સાલ્મોનેલા બાબતે જાહેર આરોગ્ય ખાતાનો પ્રતિભાવ કેવો હોય છે?

લેબોરેટરીઓએ સ્થાનિક જાહેર આરોગ્ય એકમને સાલ્મોનેલા ચેપના કેસોની જાણ કરવી જરૂરી છે. જાહેર આરોગ્ય એકમો સામાન્ય લક્ષણો ઓળખવાનો પ્રયાસ કરવા માટે વધુ કેસોવાળા વિસ્તારોની તપાસ કરે છે. જ્યાં કોઈ ચોક્કસ ખોરાક મળી આવે છે ત્યાં NSW ફૂડ ઓથોરિટી પર્યાવરણને લગતી વધુ તપાસ હાથ ધરશે અને નિયંત્રણકારી પગલાં લેશે. નિવારણ માટેની વ્યૂહરચનાઓ વિકસાવવામાં મદદ કરવા માટે કેસોના આંકડાઓનો ઉપયોગ કરવામાં આવે છે.

NSW ફૂડ ઓથોરિટી સાલ્મોનેલોસિસ અને અન્ય ખોરાકજન્ય ચેપને રોકવા માટે વિવિધ પ્રકારની ખાદ્ય સુરક્ષા વ્યૂહરચના માટે જવાબદાર છે.

પૂરક માહિતી

જો તમને સાલ્મોનેલાના લક્ષણો હોય અને તમે ચિંતિત હોવ, તો તરત જ તમારા ડોક્ટર સાથે વાત કરો કે ઇમર્જન્સીમાં ટ્રિપલ ઝીરો (000) પર કોલ કરો.

વધુ સલાહ માટે, વિનામૂલ્યે અને ગોપનીય ભાષા સહાય માટે 131 450 પર ટ્રાન્સલેટિંગ એન્ડ ઇન્ટરપ્રીટિંગ સર્વિસ (TIS)ને કોલ કરો. તેમને તમારી ભાષા અને તમે જે ભાષામાં વાત કરવા માંગો છો તે જણાવો:

  • તમારા સ્થાનિક જાહેર આરોગ્ય એકમને 1300 066 055 પર
  • વિનામૂલ્યે 24-કલાક આરોગ્ય સલાહ માટે Healthdirectને 1800 022 222 પર

અથવા, તમારા સ્થાનિક ફાર્માસિસ્ટ સાથે વાત કરો.


Current as at: Tuesday 2 December 2025
Contact page owner: One Health