મચ્છરના કરડવાથી બચવું

મચ્છરો અને તેમનાથી ફેલાતા રોગો સામે તમારું ઉત્તમ રક્ષણ મચ્છર કરડવાથી બચવું છે. કરડવાથી કેવી રીતે બચવું તે જાણો - સ્પ્રે કરો, ઢાંકો, સાફ કરો, જાળી લગાવો!

  • મચ્છરો ચુસ્ત કપડાંની આરપાર કરડી શકે છે. બહાર હોવ ત્યારે આખું શરીર (ઢીલા, લાંબી બાંયના, હળવા રંગના કપડાં અને પંજા ઢંકાઈ જાય એવા પગરખાં અને લાંબા મોજાં જેવા) કપડાંથી ઢાંકો, ખાસ કરીને સવાર અને સાંજના સમયે જ્યારે મચ્છરો સક્રિય હોય છે.
  • ખુલ્લી ચામડી પર બધે સરખી રીતે મચ્છર નિવારક દવા લગાવો. સૌથી અસરકારક નિવારકોમાં પિકારિડિન, DEET કે લીંબુ નીલગિરીનું તેલ હોય છે. તમારે કેટલી વાર એ દવા ફરીથી લગાવવી જોઈએ તે જાણવા માટે સૂચનાઓ વાંચો. હંમેશા પહેલા સનસ્ક્રીન ક્રીમ અને પછી નિવારક દવા લગાવો.
  • મચ્છર ભગાડતાં રિસ્ટબેન્ડ અને પેચની ભલામણ અમે કરતા નથી કારણ કે એવા કોઈ પુરાવા નથી કે એ મચ્છર કરડવા સામે સારું રક્ષણ આપતા હોય.
  • કુદરતી કે ઘરે બનાવેલા નિવારકો મચ્છરો સામે મર્યાદિત રક્ષણ પૂરું પાડે છે.
  • જો શક્ય હોય તો, વધુ મચ્છરો હોય તેવી જગ્યાએ બહારની પ્રવૃત્તિઓ ઓછી કરો, ખાસ કરીને કાદવ-કીચડવાળા અને વરસાદી વિસ્તારોમાં.

વારંવાર પૂછાતા પ્રશ્નો

શું મચ્છરો કેટલાક લોકોને અન્ય કરતાં વધુ કરડતાં હોય છે?

માણસો અને પ્રાણીઓ દ્વારા ઉચ્છવાસમાં છોડવામાં આવતા કાર્બન ડાયોક્સાઇડ તરફ મચ્છરો આકર્ષાય છે અને આપણા શરીરની ગરમી પણ મચ્છરોને આપણે ક્યાં છીએ તે શોધવામાં મદદ કરે છે. મચ્છરો કેટલાક લોકોને અન્ય કરતાં વધુ કરડતાં હોય છે તેનું કારણ સ્પષ્ટ નથી પરંતુ એવા કેટલાક પુરાવા છે જે સૂચવે છે કે લોકોની ચામડીની ગંધ તેમને મચ્છર કરડવાની શક્યતાઓ પર અસર કરી શકે છે.

મચ્છરો ક્યારે સૌથી વધુ સક્રિય હોય છે?

મચ્છરો સવારે, સાંજે અને રાતે સૌથી વધુ સક્રિય હોય છે. કરડવાના જોખમને ઘટાડવા માટે આ સમય દરમિયાન સાવધાની રાખો.

આછા રંગના કપડાં મચ્છરના કરડવા સામે કેમ રક્ષણ આપે છે?

મચ્છરો ઘાટા રંગના કપડાં પહેરેલા લોકો તરફ વધુ આકર્ષાય છે કારણ કે તેમને આછા રંગના કપડાંની સરખામણીમાં ઘાટા અને ડાર્ક કપડાં શોધવા સરળ પડે છે.

આછા રંગના કપડાં વધુ મચ્છરોને આકર્ષશે નહીં છતાં જો તમે નિવારક દવાનો ઉપયોગ ન કરતા હો, તો મચ્છર તમને કરડી તો શકે જ છે.

શું મચ્છર નિવારક રિસ્ટબેન્ડ, પેચ કે મોબાઈલ એપ્લિકેશન મચ્છરના કરડવાથી બચાવી શકે છે?

(પેચ કે રિસ્ટબેન્ડ સહિતના) પહેરી શકાતા મચ્છર નિવારક ઉપકરણો કે અલ્ટ્રા-સોનિક ઉપકરણો અને મોબાઈલ ફોન એપ્લિકેશન મચ્છરો સામે અસરકારક રક્ષણ પ્રદાન કરતા નથી.

જો શક્ય હોય તો DEET, પિકારિડિન કે લીંબુ નીલગિરીનું તેલ ધરાવતી સ્થાનિક મચ્છર ભગાડતી દવા લગાવવી અને લાંબાં, ઢીલાં કપડાં પહેરવા, જે સૌથી અસરકારક છે.

શું ચોક્કસ વસ્તુ ખાવા કે પીવાથી મચ્છરોના કરડવા સામે રક્ષણ મળે છે?

ચોક્કસ વસ્તુ ખાવા કે પીવાથી મચ્છરોના કરડવા સામે રક્ષણ મળતું હોય તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. તમારા ઘરના આંગણામાં મચ્છરો ઘટાડવા તેમજ નિવારક દવા અને રક્ષણ આપી શકે તેવાં કપડાં જેવા વ્યક્તિગત ઉપાયો વધુ યોગ્ય છે.

કયા પ્રકારના મચ્છર નિવારકો તેમના કરડવા સામે અસરકારક બની રહે છે?

સ્થાનિક મચ્છર નિવારક દવાઓ જેમાં ડાયથાઇલ્ટોલુઆમાઇડ (DEET), પિકારિડિન કે લીંબુ નીલગિરીનું તેલ હોય તે મચ્છરો સામે સૌથી અસરકારક બની રહે છે. આ ઘટકો જે તે નિવારકના લેબલ પર છાપેલા હોય છે. નિવારકની શક્તિ રક્ષણનો સમયગાળો નક્કી કરે છે માટે વધુ સાંદ્રતાવાળા નિવારકો લાંબાગાળા માટે રક્ષણ આપે છે. ફરીથી કેટલા સમયે દવા લગાવવી તે જાણવા માટે હંમેશા લેબલ તપાસો.

મચ્છર ભગાડતાં રિસ્ટબેન્ડ અને પેચની ભલામણ અમે કરતા નથી કારણ કે એવા કોઈ પુરાવા નથી કે એ મચ્છર કરડવા સામે સારું રક્ષણ આપતા હોય.

શું મચ્છર નિવારક દવા લગાવવાની કોઈ ચોક્કસ રીત છે?

ખુલ્લી ચામડી પર બધે સરખી રીતે મચ્છર નિવારક દવાને લગાવો. ચામડી પર અમુક અમુક જગ્યાએ જ નિવારક લગાવશો તો તેનાથી બધે પૂરતું રક્ષણ મળતું નથી.

આંખો અને મોંની નજીક કે ખુલ્લા ઘા, ચીરા કે છોલાયું હોય, તેની પર નિવારક દવા લગાવાનું ટાળો. હંમેશા પ્રોડક્ટના લેબલ પર છાપેલી સૂચનાઓનું પાલન કરો.

જો તમે સનસ્ક્રીનનો ઉપયોગ કરતા હોવ, તો પહેલા સનસ્ક્રીન અને પછી મચ્છર નિવારક દવા લગાવો. નાના બાળકોને ક્યારેય મચ્છર નિવારક દવા જાતે લગાવવા દેશો નહીં.

મારે કેટલીવાર મચ્છર નિવારક દવા લગાવવી જોઈએ?

નિવારકની શક્તિ રક્ષણનો સમયગાળો નક્કી કરે છે માટે વધુ સાંદ્રતાવાળા નિવારકો લાંબાગાળા માટે રક્ષણ આપે છે. ફરીથી કેટલા સમયે નિવારક લગાડવું તે જાણવા માટે હંમેશા લેબલ તપાસો કે મચ્છર કરડવા લાગે ત્યારે લગાવો.

પરસેવાથી મચ્છર નિવારકની અસરકારકતા ઘટે છે તેથી મહેનત પડે તેવું કામ કરતા હોવ કે ગરમી વધારે હોય ત્યારે નિવારક દવા વધુ વાર લગાવવાની જરૂર પડી શકે છે. તર્યા પછી પણ મચ્છર નિવારક દવા ફરીથી લગાવવાની જરૂર પડે છે.

મચ્છર નિવારક દવાઓ કેવી રીતે કામ કરે છે?

આ દવાઓ મચ્છરની ગંધ અને સ્વાદ જેવી ઇન્દ્રિયોને ગૂંચવીને તેમને તમારી ચામડી શોધતા અને કરડતા રોકે છે.

માખીઓના સ્પ્રેથી વિપરીત, નિવારક દવાનો છંટકાવ કરવાથી મચ્છરો તમને કરડતા બંધ થશે પરંતુ તેઓ મરશે નહીં. નિવારકો ફક્ત તે જગ્યાનું રક્ષણ કરશે જેની પર તેને લગાવવામાં આવ્યા હોય પરંતુ મચ્છરો ચામડીના કોઈપણ નાના દવા વિનાના અસુરક્ષિત ભાગને શોધી કાઢશે, તેથી બધે સરખી રીતે મચ્છર નિવારક દવા લગાવો.

શું મચ્છર નિવારકો સુરક્ષિત છે?

જેમાં DEET, પિકારિડિન અને લીંબુ નીલગિરીનું તેલ હોય છે તેવા મચ્છર નિવારકો સુરક્ષિત અને અસરકારક સાબિત થયા છે. તેઓ એ ઓસ્ટ્રેલિયન પેસ્ટિસાઇડ્સ એન્ડ વેટરનરી મેડિસિન્સ ઓથોરિટી (Australian Pesticides and Veterinary Medicines Authority)(APVMA) સાથે નોંધાયેલા હોય છે જે તપાસે છે કે ઉત્પાદનો સુરક્ષિત અને અસરકારક છે. એવા કોઈ પુરાવા નથી કે મચ્છર ભગાડતાં રિસ્ટબેન્ડ અને પેચ મચ્છર કરડવા સામે સારું રક્ષણ આપતા હોય. કુદરતી નિવારકો મચ્છરો સામે મર્યાદિત રક્ષણ પૂરું પાડે છે.

મંજૂર થયેલા ઉત્પાદનોનો જ ઉપયોગ કરો અને લેબલ પરની સૂચનાઓ અવશ્ય વાંચો.

શું મચ્છર નિવારકો બાળકો માટે સુરક્ષિત છે?

મોટાભાગના નિવારકો 3 મહિના અને તેથી વધુ ઉંમરના બાળકો માટે સૂચનાઓ અનુસાર ઉપયોગ કરવા માટે સુરક્ષિત છે, જોકે કેટલાક ફોર્મ્યુલેશન માત્ર 12 મહિના અને તેથી વધુ ઉંમરના બાળકો માટે જ વાપરવાની ભલામણ કરવામાં આવે છે - વાપરવા માટેની યોગ્ય ઉંમર જાણવા માટે હંમેશા પ્રોડક્ટનું લેબલ તપાસો. સૌથી અસરકારક નિવારકોમાં DEET, પિકારિડિન કે લીંબુ નીલગિરીનું તેલ હોય છે.

આખો દિવસ બાળકોને સુરક્ષિત રાખવા માટે દરરોજ સવારે તેમને નિવારક દવા લગાવો. નાના બાળકોને ક્યારેય મચ્છર નિવારક દવા જાતે લગાવવા દેશો નહીં.

શું હું કુદરતી નિવારક દવાનો ઉપયોગ કરી શકું?

કુદરતી નિવારકો જેવા કે સિટ્રોનેલા, નીલગિરી, ટી ટ્રી ઓઇલ અને અન્ય 'કુદરતી' ફોર્મ્યુલેશન સામાન્ય રીતે મચ્છર કરડવા સામે ખૂબ જ મર્યાદિત રક્ષણ આપે છે.

ઓસ્ટ્રેલિયામાં વેચાતી તમામ મચ્છર નિવારક દવાઓ ઓસ્ટ્રેલિયન પેસ્ટિસાઇડ્સ એન્ડ વેટરનરી મેડિસિન્સ ઓથોરિટી (Australian Pesticides and Veterinary Medicines Authority)(APVMA) સાથે નોંધાયેલી હોવી જ જોઇએ કારણે તેઓ તપાસે છે કે ઉત્પાદનો સુરક્ષિત અને અસરકારક છે કે નહીં. APVMA સાથે નોંધાયેલા ન હોય તેવા ઉત્પાદનોનો ઉપયોગ કરવાથી ચામડી પર ખોટું રીએક્શન આવવાનું જોખમ વધુ હોઈ શકે છે.

હું મારા ઘરની આસપાસથી મચ્છરોને કેવી રીતે ભગાડી શકું?

તમારા ઘરની આસપાસ મચ્છરોની સંખ્યા ઘટાડવાના શ્રેષ્ઠ ઉપાયો આ મુજબ છે:

  • તમારા ઘરના વાડાને સાફ કરો અને ડોલ, ટાયર, રમકડાં વગેરે સહિત તમામ પાણી ભરાઈ શકે તેવી વસ્તુઓ દૂર કરો અને તેમને કોરી જગ્યાએ રાખો
  • તમારી લોનનું ઘાસ નિયમિત કાપો
  • પક્ષીઓ માટે મૂકેલા પાણીના કૂંડા, પાલતુ પાણીઓના બાઉલ અને પાણી પીવાના પાત્રો ખાલી કરો અને સાફ કરો
  • પાણી શોષાય એ માટે છોડના કૂંડાઓના તળિયે રેતી પાથરો
  • પાણી ભરાઈ શકે એવી કોઈપણ વસ્તુને ઢાંકીને રાખો કે સૂકી જગ્યાએ રાખો અને કચરાપેટી પણ ઢાંકીને રાખો
  • પાણી ભરાઈ રહે તેવા છોડના પાંદડા દૂર કરો
  • ગટર અને અગાસીની પાઇપો સાફ કરો જેથી પાણી મુક્તપણે વહેતું રહે
  • ગટરો અને વરસાદી પાણીની ટાંકીના ખુલ્લા ભાગોને બંધ રાખો કે સુરક્ષિત રીતે ઢાંકી દો
  • જંતુનાશક સ્પ્રે અને વરાળ કાઢતા સાધનોનો ઉપયોગ કરો
  • બારીઓ, દરવાજા, વેન્ટ અને ચીમની પર મચ્છર જાળી લગાવો
  • સારી રીતે હવાની અવરજવરવાળી જગ્યાઓની બહાર મચ્છર ભગાડતી કોઇલનો ઉપયોગ કરો

મચ્છર કરડ્યા હોય તેની સારવાર હું કેવી રીતે કરી શકું?

મચ્છરો કરડ્યા હોય તેમાંથી મોટાભાગની જગ્યાને સાબુ અને પાણીથી ધોઈને કે આઇસ પેક્સ મૂકીને પીડા અને સોજો ઘટાડીને તેમને નિયંત્રિત કરી શકાય છે. એન્ટિહિસ્ટેમાઈન ક્રીમ પણ ખંજવાળમાં રાહત આપી શકે છે. તમે દવાના લેબલ પરની સૂચનાઓનું પાલન અવશ્ય કરો.

કરડ્યાની જગ્યાને ખંજવાળવાનું ટાળો કારણ કે તેનાથી ત્વચા ચીરાઈ શકે છે અને ત્યાં ચેપ લાગી શકે છે. ચેપગ્રસ્ત કરડ્યાની જગ્યાના લક્ષણોમાં સોજો, દુખાવો, લાલાશ અને બળતરા સામેલ છે. જો તમને લાગે કે કરડ્યાની જગ્યા ચેપગ્રસ્ત છે, તો તમારા ફાર્માસિસ્ટની મદદ લો.

જો મચ્છર કરડ્યા પછી, તમને તે જગ્યાએ લાલાશ દેખાય, ફ્લૂ જેવા લક્ષણો જેવા કે તાવ, શરદી, માથાનો દુખાવો, સાંધા કે સ્નાયુઓમાં દુખાવો (સોજો કે અક્કડતા), થાક લાગવો કે પછી કોઈ પણ રીતે સારું ન લાગતું હોય, તો તરત જ ડોક્ટરનો સંપર્ક કરો કે ઇમર્જન્સીમાં ટ્રિપલ ઝીરો (000) પર કોલ કરો કે તમારા નજીકના ઇમર્જન્સી વિભાગની મુલાકાત લો.

મુસાફરી કે કેમ્પિંગ દરમિયાન મચ્છર કરડવાથી કેવી રીતે બચવું?

મુસાફરી કે કેમ્પિંગ દરમિયાન મચ્છર કરડવાથી બચવાના શ્રેષ્ઠ ઉપાય આ મુજબ છેઃ

  • બંધ કે એર કન્ડિશન્ડ રૂમમાં રહેવું કે સૂવું
  • જો તમે બહાર સૂતા હોવ કે જો તે વિસ્તારમાં મચ્છરોનો ઉપદ્રવ હોય, તો મચ્છરદાનીનો ઉપયોગ કરો. જ્યારે પરમેથ્રિન જેવા પાયરેથ્રોઇડ જંતુનાશક સાથે મચ્છરદાની બનાવવામાં આવી હોય, ત્યારે તે સૌથી અસરકારક હોય છે. મુસાફરી પહેલાં એવી મચ્છરદાની ખરીદી શકાય કે ખરીદી પછી તેની પર એ પ્રકારના જંતુનાશક છાંટી શકાય.
  • મચ્છરજન્ય રોગ જ્યાં વધુ થતા હોય કે અવારનવાર ફાટી નીકળતા હોય તેવા વિસ્તારોમાં જવાનું ટાળો.

સંબંધિત લિંક્સ

મચ્છર કરડવાથી બચવાના ઉપાયો